રવિવાર, 25 જુલાઈ, 2010

કહો એટલું

કહો એટલું


ઓધવજી, મને કહો એટલું -
કેમ મુરારિ મથુરા છોડી નથી આવતાં ગોકુલમાં ?
ભાગ્‍ય મહીં શું હશે નિરંતર, બળવાનું વિરહાનલમાં ?
ઓધવજી, મને કહો એટલું –

છાણ-વાસીદાં ને સંજવારી
નથી કાઢવાની તૈયારી :
ભૂખ-તરસ ભૂલીને ગૌધણ
ઊભાં છે આંખોને ઢાળી,
ખરે બપોરે પણ લાગે છે, જગત ડૂબ્યું તિમિરજલમાં
ઓધવજી, મને કહો એટલું –

શું ગોવિંદ અહીં નહિ આવે ?
સ્‍મિત મધુરું નહિ ફરકાવે ?
ગોવર્ધન, વૃન્‍દાવન-યમુના
સાદ કરી-કરીને બોલાવે
ગોપવૃન્‍દનાં ભીનાં નયનો ભટકી રહ્યાં છે જલથલમાં
ઓધવજી, મને કહો એટલું –

કેમ મુરારિ મથુરા છોડી નથી આવતાં ગોકુલમાં ?
ભાગ્‍ય મહીં શું હશે નિરંતર, બળવાનું વિરહાનલમાં ?
ઓધવજી, મને કહો એટલું –


ઇન્‍દુલાલ ગાંધી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો