શનિવાર, 31 જુલાઈ, 2010

આંધળી માનો કાગળ

શ્રી ઇન્‍દુલાલ ગાંધીની અમર રચના “આંધળી માના કાગળ” નું સર્જન કેવી રીતે થયું ?
કરાંચીના નિવાસ દરમિયાન તેની દુકાનમાં ગોંડલનો એક માણસ નોકરી કરતો. વૃદ્ધ માતાનો આ એકનો એક દીકરો કરાંચી કમાવા આવ્‍યો હતો. તેની માતા તેને ગોંડલથી પત્રો લખી પોતાની હાલતનું વર્ણન કરતી. આ પત્રો વાંચીને ઇન્‍દુલાલ ગાંધીના મનમાં સંવેદનાઓના પૂર ઊમટ્યાં. બહારગામ રહેતા નોધારી માતાની હાલત અને માતાની પુત્ર પ્રત્યેની ચિંતા કેવી હોય, તેનું બયાન આ “કાગળ” માં થયું.
લખાયા બાદ અને ગવાયા બાદ વાંચકો અને શ્રોતાઓનું કવિ પર આ કાગળનો જવાબ લખવા માટે ખૂબ દબાણ થયું. ત્‍યારે ૧૯૫૦ માં ભાગલા બાદ મોરબીમાં આવ્‍યા ત્‍યારે “કાગળનો જવાબ” નું સર્જન થયું.
કરાંચીમાં કોલમ્‍બિયા કંપનીએ કવિની મંજૂરી વગર રેકર્ડ બહાર પાડી. કવિને ધ્યાનમાં આવતાં તેમણે કંપની પર કેસ કર્યો. આ કેસના છાંટા આ “આંધળી માનો કાગળ” ગાનાર કલાકારને પણ ઊડે તેમ હતાં. કેસ તો કર્યો, પણ કવિનું સંવેદનાશીલ હ્વદય દ્રવી ઊઠ્યું. એમને એ વખતે મોટું વળતર મળે તેમ હતું. એટલું મોટું વળતર કે કવિશ્રી કરાંચીમાં એ જમાનામાં ઘરનું ઘર ખરીદી શકાય, પણ કવિને વિચાર આવ્‍યો કે “એક કલાકારની છાતી પર પગ મૂકીને, એને દુભાવીને મળતાં વળતરને મારે શું કરવું છે ?” અને એક કવિ એક કલાકારને કચડીને કેવી રીતે ઊભો રહી શકે ? એમણે વળતર જતું કર્યું, પણ કોલમ્‍બિયા કંપનીની એ રેકર્ડો નામદાર કોર્ટે મંગાવી અને જજની હાજરીમાં એ
રેકર્ડો તોડી નાખી.
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પુનમચંદના પાનીઆ આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્‍ય કે માડી ! પાંચ વરસમાં પ્‍હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા ;
રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિઓ લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દાડિયું ખેંચવા; રાતે હોટલમાં ખાય,
નિત નવાં લુગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી ;
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેંચ્‍યું ને ખેતર વેચ્‍યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દિ’ પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દિ’ દરણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વિજળીદીવા,
મારે આંહી અંધારા પીવાં.

લીખીતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્‍યો ભીખ માગવા વારો.
- ઇન્‍દુલાલ ગાંધી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો