અનાશ્રયા
(અનુષ્ટુપ)
ત્યાગેલી પ્રસૂતા એક પડી’તી અર્ધઘેનમાં
કોણીને ટેકવી માથું, અંધારે ગુડ્સટ્રેનમાં :
બિછાનું યે ન’તું પાસે ઓઢવાનું હતું નહિ
જન્મેલા પુત્રને કાજે ન્હોતું રક્ષણ કોઇનું.
‘તારું આ છોકરું બેન, સોંપી દે તું સમાજને
ઉછેરીશું અમે એને’ બોલ્યા મા’જન મોવડી :
‘વળી તારું કર્યું પાપ ઢંકાશે આમ-આ રીતે
અજાણ્યા આશ્રમે છેલ્લા દિ’નો વિતાવજે.’
કલંકિની ફરી પાસું, ઉઘાડી આંખને ધીમે
અંધારાંની દીવાલોને હૂંફ એને વધુ ગમે !
‘જુઓને ભૈ, હવે તો હું ચવાણી ચોક-ચોતરે
ઢાંકીને એ બધું શાને કરેલાં પાપ બેવડું ?
તપશ્ચર્યા તણાં તેજે હણ્યું’તું દુ:ખ આંધળું,
હણાએલી બધાંથી હું માતૃત્વ શીદને હણું ?’
ઇન્દુલાલ ગાંધી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો