અબોલનું આક્રંદ
મંદિરિયામાં નથી રે, મારાથી રે’વાતું.
પરની પછેડીની સોડ ગમે શાને ? શાને ગમે પરનું ભાતું ?
ચરણામૃત ગણી આંસુ પીતાં સૌએ, પાપને માની પનોતું :
મંદિરિયામાં નથી રે, મારાથી રે’વાતું.
વીંઝણાના વાયુ મને વિષડંખ દેતાં, ભડકા જેવી સોના-ભીંતું,
હૈયું બળે ત્યારે લાવે નાવણકૂંડી, જમડાની જાણે જમાતું :
મંદિરિયામાં નથી રે, મારાથી રે’વાતું.
ગીત ગળામાંથી ખૂટ્યાં ગોવિંદના, તૂટી તંબૂરાની તાંત્યું,
તાર અખંડિત રહેશે ભગત, એનો કસબી બનીને જેણે કાંત્યું :
મંદિરિયામાં નથી રે, મારાથી રે’વાતું.
ઇન્દુલાલ ગાંધી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો