મંગળવાર, 27 જુલાઈ, 2010

તનના તંબૂરને

તનના તંબૂરને

આયુષ્‍યને ટીંગાટોળી કરીને
એણે વિશ્વ વડલાની ડાળે બાંધ્‍યું છે,
વડલો છે જર્જરિત,
પાન નથી,
એની પાસે કોઇ નવા જીવનનું ગાન નથી.

જોગણના ઊડતા લટુરિયા
જેની વડવાઇઓ
ખવાયેલું એનું થડ
થાક ખાવા કોણી ટેકવીને
પડ્યું આડેધડ.
એવા જર્જરિત વિશ્વવડલાની ડાળે
વિશ્વનિયંતાએ મારા
આયુષ્‍યને બાંધ્યું છે,
અધવચ્ચે જ્યારે જ્યારે તૂટી ગયું -
આવા આયુષ્‍યને મારે
સાચવવું કેટલા દિ’?
તરડ પડેલા મારા તનના તંબૂરને
રાખી શકું શે સંવાદી ?

ઇન્‍દુલાલ ગાંધી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો